Followers

Wednesday, 7 April 2021

હવે મોટો પ્રશ્ન છે કોરોનાના બીજા મોજાના ડૅમેજ કન્ટ્રોલનો

06 April 2021

૨૪ માર્ચ, ૨૦૨૦ના રોજ ૨૧ દિવસનો રાષ્ટ્રવ્યાપી લૉકડાઉન જાહેર કરાયો ત્યારે આપણે ત્યાં કોરોનાના ૫૦૦ કેસ હતા અને તેને કારણે ૧૦ મૃત્યુ નોંધાયા હતા. આજે એક વર્ષ પછી પરિસ્થિતિ કાંઈક જુદી છે. પહેલું મોજું સપ્ટેમ્બર ૨૦૨૦ના અંત સુધીમાં ટોચ પર પહોંચ્યું અને ફેબ્રુઆરી ૨૦૨૧માં નવા કેસની સંખ્યા સતત ઘટતી જતા મહામારીનો અંત નજીક દેખાવા લાગ્યો.
આપણી એ ગણતરી છેતરામણી સાબિત થઈ અને ફરી એકવાર રોજિંદા ધોરણે નવા કેસ જેટ સ્પીડે વધવા માંડ્યા. એ પહેલાં મોજાનું વિસ્તરણ છે કે બીજું મોજું આપણે એની અવઢવમાં રહ્યા. કદાચ પાછલે દરવાજેથી એ બીજું મોજું પ્રવેશી પણ ગયું.એ અંતર્ગત છેલ્લા મળતા આંકડા પ્રમાણે રોજના નવા કેસ ૬૦,૦૦૦ આસપાસ પહોંચી ગયા. મહારાષ્ટ્ર અને મુંબઈ માટે એ આંક ૩૬,૦૦૦ અને ૫૫૦૦ ઉપર પહોંચી ગયો. હવે એના સામના માટે આપણો અનુભવ કામે લગાડવો પડશે.
 
દેશવ્યાપી લૉકડાઉનના રૂપમાં લેવાયેલ ઝડપી અૅકશનની સફળતાના પુરાવા આપણી સામે છે જ. એ જે સમય મળ્યો તેમાં ભવિષ્યમાં ઊભી થનારી 
ગંભીર પરિસ્થિતિના સામના માટે આપણા હેલ્થકૅર ઇન્ફ્રાસ્ટ્રકચરને મજબૂત કરવાના આપણા આશયને સફળતા મળી. મોટા પ્રમાણમાં જાનહાનિ અટકાવવા માટેની એ ડૅમેજ કન્ટ્રોલ કવાયત સફળ થઈ.

હવે નિષ્ણાતો અને સંશોધનાત્ક અભ્યાસનાં તારણો એ નિષ્કર્ષ પર આવ્યા છે કે આપણે ત્યાં કોવિડ-19નું બીજું મોજું શરૂ થઈ ગયું છે અને રોજના કેસ વધતા રહી ૧૫ એપ્રિલ સુધીમાં ટોચ પર પહોંચશે. પછી ધીમે ધીમે ઘટતા રહીને મેના અંત સુધીમાં તે કન્ટ્રોલમાં આવશે. મુંબઈમાં એ કેસ રોજના ૧૦,૦૦૦ની ટોચ પર પણ પહોંચી શકે. દેશમાં રોજના સૌથી વધુ કેસ નોંધાવી રહેલ ૧૦ જિલ્લામાંના નવ જિલ્લા મહારાષ્ટ્રમાં છે અને લગભગ ૭૪૦ જિલ્લામાંથી ૬૬ જિલ્લાઓ રોજના નવા કેસનો મોટા ભાગનો હિસ્સો ધરાવે છે. પંજાબ, કેરલા, કર્ણાટક, ગુજરાત અને મધ્ય પ્રદેશ પણ વધારે અસરગ્રસ્ત થતા જાય છે.

આ આંકડાઓને અને માર્ચ ૨૦૨૦ના સંજોગોના ફેરફારને લક્ષમાં રાખીને આપણે આપણી વ્યૂહરચના બદલવી પડશે.

સવાલ આ પહેલું મોજું છે કે બીજું એ નથી, એ જે પણ હોય તે, આપણે માટે અગ્રક્રમ તો  કોરોનાના ચાલુ તબક્કાને (રોજના વધતા કેસને) બનતી ત્વરાએ કાબૂમાં  લાવવાનો  છે, જેથી   જાનહાનિ ઓછામાં ઓછી અને આર્થિક નુકસાન પણ જેટલું બને તેટલું ઓછું થાય. 

વધતા કેસ વચ્ચે પણ મૃત્યુનો દર ૨૦૨૦ કરતાં ઓછો છે એનો યશ જાય છે આપણી સ્વાસ્થ્ય અંગેની માળખાકીય સુવિધાઓના સુધારાને. ઉપરાંત કોરોના પૉઝિટિવ થઈ ચૂકેલ કેટલાક દરદીઓ અને વૅક્સિનેશનને કારણે પ્રજાના અમુક વર્ગમાં કોવિડ-19 સામેના ઘટેલા જોખમને પણ તેનો કેટલોક યશ મળે જ. કોરોના સામે લડી લેવાની આપણી માનસિક ઇમ્યુનિટી (શારીરિક ઇમ્યુનિટી તો ખરી જ)એ પણ મોટો ભાગ ભજવ્યો જ હોય. 

 મૃત્યુનો દર ઘટાડવામાં નવા વાઇરસનું જોર ઓછું થયું છે કે નહીં એ અંગેના અભ્યાસના આખરી તારણો હજી ઉપલબ્ધ થયાં નથી. બે નવા વાઇરસનું ટ્રાન્સમિશન તો ઝડપી પુરવાર થયું છે. મહારાષ્ટ્ર અને અન્ય પાંચથી છ રાજ્યો કોવિડ-19 માટેની હૉટ-બેડ સમાન પુરવાર થયા છે અને રોજ વધતા નવા કેસમાં તેમનો હિસ્સો ૮૦ ટકા જેટલો છે, પણ તેને કારણે આખા દેશ સામેનું જોખમ ઓછું થતું નથી. જરા ચૂક્યા તો કોવિડ-19ના મરણનું પ્રમાણ પણ ૨૦૨૦ કરતાં વધી જવાની સંભાવના નકારી શકાય તેમ નથી.

 આ આંકડાઓ આપણને કોરોનાને નાથવા માટેની નવી વ્યૂહરચના ઘડવામાં કામે લાગી શકે.

કેન્દ્ર સરકારે પ્રાદેશિક અને સ્થાનિક લૉકડાઉન અને પ્રતિબંધો માટેની છૂટ રાજ્ય સરકારોને આપી જ છે. એટલે આખા રાજ્યમાં નહીં, પણ કોરોના માટેના હૉટ-સ્પૉટ કે કલસ્ટર ગણાય તેવા સ્થાનિક લૉકડાઉનથી વધુ જોખમવાળા પ્રદેશોને આઇસોલેટ કરાય તો કડક સર્વવ્યાપી લૉકડાઉનથી થતાં મોટા આર્થિક નુકસાનને સીમિત કરી શકાય. મહારાષ્ટ્રમાં પણ નાઇટ કરફ્યુ દાખલ કરાયો છે.
કેન્દ્ર સરકારે ૧ એપ્રિલથી ૪૫ વરસની ઉપરના બધા નાગરિકો માટે વૅક્સિનેશનની છૂટ આપી છે. કોરોનાના કન્ટ્રોલ માટે જરૂરી બધા નાગરિકોને જ્યારે ટૂંક સમયમાં વૅક્સિન આપી શકાય તેમ ન હોય તો વૅક્સિન માટેની પરવાનગી એજ ગ્રુપ કરતાં, આરોગ્ય સેતુ અૅપની મદદથી નોખા તારવેલ હૉટ-સ્પૉટ પ્રદેશોમાં પુખ્ત ઉંમરના બધા નાગરિકો માટે તાત્કાલિક આપવી જોઈએ. જે પ્રદેશો ઓછા અસરગ્રસ્ત છે તેમને ભલે પછીના તબક્કે વૅક્સિનેશન માટે આવરી લેવાય તો પણ વધુ પડતા નુકસાનની સંભાવના ઓછી છે.

કોઈ કુદરતી આફત સમયે જ્યાં ન પહોંચી શકાય તેવા અસરગ્રસ્ત વિસ્તારમાં સર્વાઇવલ કિટ (તત્કાલ પૂરતા જીવનગુજારા માટેની સાધનસામગ્રી અને દવાઓ) હેલિકૉપ્ટર દ્વારા અૅર-ડ્રોપ કરીને પૂરી પડાય છે તેવી રીતે વૅક્સિન માટે યુદ્ધના ધોરણે કોવિડ-19 માટેના હૉટ-સ્પૉટની પસંદગી કરી શકાય.

બે વૅક્સિન વચ્ચેનો સલામત સમયગાળો નવા સંશોધન પ્રમાણે છથી આઠ અઠવાડિયાંનો (જે પહેલાં ચારથી છ અઠવાડિયાંનો ગણાતો હતો) હોઈ બીજો ડોઝ મોડો આપી શકાય તેમ હોઈ પહેલા ડોઝ માટે પ્રજાના થોડા વધુ મોટા વર્ગને આવરી લેવાની શક્યતા પણ ઊભી થઈ છે. કોરોનાનું બીજું મોજું આપણા પર સવાર થઈ જાય અને અકલ્પનીય નુકસાન પહોંચાડે તે પહેલાં સમયસર આપણે આપણી નવી વ્યૂહરચના અમલમાં મૂકવી પડશે.
વૅક્સિનના બીજા ડોઝ પછી ઇમ્યુનિટી ડેવલપ થતાં બે-એક અઠવાડિયાં લાગતાં હોઈ પહેલા ડોઝમાં અસરગ્રસ્ત વિસ્તારના જેટલા વધુ લોકોને બનતી ત્વરાથી આવરી લેવાશે તેટલું દેશનું નુકસાન ઓછું થશે.
દેશનો યુવા વર્ગ તેમના ઑફિસ અને ધંધાકીય કાર્યો અને રોકાણોને લીધે કોરોના માટે સુપર-સ્પ્રેડર સાબિત થયો છે. સામાજિક અને ધાર્મિક પ્રસંગો પણ ડિસિપ્લિનના અભાવે સુપર-સ્પ્રેડર સાબિત થયા છે. એટલે હોળી-ધુળેટી, બીહુ અને ઇસ્ટરના તહેવારોની ઉજવણી બાબતે જેટલા રિસ્ટ્રિકશન્સ મુકાશે તેટલું દેશને નુકસાન ઓછું થશે.

રિઝર્વ બૅન્કના મતે રોજેરોજ ઝડપથી વધી રહેલ નવા કેસને હળવાશથી લઈ શકાય નહીં. તે આપણે માટે જરૂરથી ચિંતાનો વિષય છે. બિઝનેસની ઝડપ તાજેતરના અઠવાડિયાઓમાં વધી રહેલ કેસને કારણે ધીમી પડી રહી હોવાના સંકેતો મળી રહ્યા છે તો પણ ભારતના આર્થિક વિકાસની ઝડપ ધીમી પડે તેવા સંજોગો હજી દેખાતા નથી. દેશની કેન્દ્રવર્તી બૅન્કનો આ આશાવાદ આશ્વાસનરૂપ છે.
તો પણ મુંબઈની બગડતી પરિસ્થિતિ સારા દેશની પ્રગતિને પાછળ ધકેલી શકે એ ભુલાવું ન જોઈએ. રોજના નવા કેસ ૧૫, સપ્ટેમ્બર ૨૦૨૦ આસપાસના (૯૮,૦૦૦ જેટલા) ટોચના સ્તર ભણી મક્કમ ઝડપે આગળ વધી રહ્યા છે તેના પર અંકુશ રાખવા કોઈ એક સાધન કારગત ન જ નીવડે.  Abdul Hafiz Lakhani Ahmedabad GUJARAT

7/11 मुंबई विस्फोट: यदि सभी 12 निर्दोष थे, तो दोषी कौन ❓

सैयद नदीम द्वारा . 11 जुलाई, 2006 को, सिर्फ़ 11 भयावह मिनटों में, मुंबई तहस-नहस हो गई। शाम 6:24 से 6:36 बजे के बीच लोकल ट्रेनों ...